Monday, June 8, 2020

પશુપાલનનો ધંધો શરૂ કરતાં પહેલા આ પાંચ મુદ્દા વિચારવા જરૂરી છે. (5M નો સિધ્ધાંત)

પશુપાલનનો ધંધો શરૂ કરતાં પહેલા આ પાંચ મુદ્દા વિચારવા જરૂરી છે. (5M નો સિધ્ધાંત)

૧. મેન પાવર ( માનવ શક્તિ ):-
                   આ ધંધો સતત પ્રક્રિયા વાળો ધંધો છે . આમાં કોઈ દિવસ રજા નથી હોતી , પશુપાલનમાં દેખરેખ , સફાઈ માટે , ઘાસ કાપવા , ઘાસ લાવવા પશુઓને નિરણ કરવા , દોહન કાર્ય - મંડળીમાં ભરાવવા વગેરેમાં સતત માનવ શક્તિની જરૂર પડે છે . અંદાજે ૧૦ પુખ્ત પશુઓ દિઠ ૧ થી ર માણસોની જરૂર રહે . વધુ મોટા ફાર્મમાં ખેતી અને પશુપાલનના આધુનિક સાધનો માટે હિસાબ - કિતાબ માટે થોડો કાર્યકુશળ સ્ટાફ પણ જોઈએ . 

૨. મની ( પૈસા ) :-
                  પૈસાની વ્યવસ્થા ન હોય તો પછીથી જોયુ જશે - વ્યવસ્થા કરી લઈશુ એવી વિચારણા સાથે પશુઓ ખરીદી લેશો નહિ . હયાત દેવુ , બચતો , ખેતીમાં થનાર ખર્ચ સામે થનાર આવક , સરકાર - સંઘ દ્વારા ચાલુ હોય એવી કોઈ લોન કે અન્ય પ્રકારની સહાય યોજના , પોતાના ઘરે આવનારા સમયમાં કરવા પડે એવા સામાજિક પ્રસંગો , આકસ્મિક મોટી બિમારીઓની સારવાર વગેરેનો બરાબર વિચાર કરી આયોજન પૂર્વક આ ધંધામાં શરૂઆત કરજો .

3. મશીનરી : 
                  આમાં પશુપાલનના ધંધા માટે જે કોઈ સ્થાવર મિલ્કત જોઈએ તેનો વિચાર કરવો પડે . 
જાનવરો રાખવા માટેની જગ્યા 
- લાઈટ કનેક્શન માટે સગવડ 
- સાફ સફાઈ માટે સાધનો પાણી માટે બોર 
- કુવો - ઈલે.મોટર 
- ટાંકી ઘાસચારો રાખવાની વ્યવસ્થા , ઘાસચારો કાપવાના સાધનો ( ખેતરમાંથી અને શેડ પર ) દૂધ દોહન અને સંગ્રહ માટે જરૂરી સાધનો 
- મશીનરી ઘાસચારો - દાણ - દૂધ વહનના સાધનો ઘાસચારા માટે જમીન 
-ફાર્મ પર રાખેલ માણસો માટે રહેવાની જગ્યા અને બાંધકામ 
-પશુઓની સુખાકારી માટે પંખા , ફોગર અને નેટવગેરે ... આ સિવાય પણ અન્ય પાસાઓ હોઈ શકે છે . 
-દરેકમાં શક્ય હોય એટલો વૈજ્ઞાનિક અને આધુનિક અભિગમ અપનાવવો પણ આંધળી દોટ કદી ન ભરશો .

૪. મટીરીયલ ( કાચો માલ ) : 
                        મુખ્યત્વે પશુઓ , ઘાસચારો , દાણ , મિનરલ મીલ્ચર જેવા પૂરક આહારો . લીલાચારાનો પડતર ખર્ચ ઓછો હોય છે . બારેમાસ ઉપલબ્ધ રાખી પ્રતિ લિટર દૂધ ઉત્પાદને ખોરાક ખર્ચ ઘટાડવો . સીઝન પ્રમાણે સૂકા ચારાની વ્યવસ્થા કરતા રહેવું . 

૫. મેથળ - મેનેજમેન્ટ ( કાર્ય કરવાની પધ્ધતિ - નિયંત્રણ ) : 
                     જરૂરી એવા રેકોર્ડની નોંધણી કરી એના પરથી ધંધાની વર્તમાન પરિસ્થિતિ જાણી શકાય . ભવિષ્ય માટે કાર્ય વ્યવસ્થાના આયોજન માટે , પશુઓના આરોગ્યની જાળવણી માટે , ઉંચી ગુણવત્તાવાળા દૂધ ઉત્પાદન માટે . ફાર્મ પર કામ કરનારા માણસોમાં ટીમવર્ક અને ફાર્મ માટે માલિકીપણાની ભાવના જળવાઈ રહે તેમનો પણ આર્થિક વિકાસ થાય તે માટે.